

અંબાજીના રસ્તાઓ ઉપર ચોમેર સ્વચ્છતા અને એસ.ટી.બસની સુવિધાની યાત્રિકોએ સરાહના કરી*


માહિતી બ્યુરો, પાલનપુર) અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો હવે અંતિમ ચરણમાં છે. તા. ૫ સપ્ટેઓમ્બરથી પ્રારંભ થયેલા આ પવિત્ર મહાપર્વનું આવતીકાલ તા. ૧૦ સપ્ટેમ્બર પુનમના દિવસે સમાપન થશે. ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર પશ્વિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા આ ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઇભક્તો દુરદુરથી ચાલતા આવે છે. આ વરસે પણ લાખો શ્રધ્ધાળુઓ દુરદુરથી અંબાજી આવ્યા હતા. બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન અનુસાર મેળામાં યાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ બની છે. અંબાજીમાં અને રસ્તાઓ ઉપર ચોમેર સરસ સ્વચ્છતા અને મેળામાં દોડતી એસ.ટી.બસોની સુવિધાઓ જોઇને યાત્રિકોને આનંદ થયો છે. કલેકટરશ્રીના આ અભિગમની લોકોએ સરાહના કરી છે. અંબાજીમાં ઉમટતા લાખો માઇભક્તોને પરત ઘેર જવા માટે પુરતી સંખ્યામાં બસો હોવાથી અંબાજીમાં અતિશય ભીડ નિવારી શકાઇ છે. આવી સરસ સુવિધાને લીધે યાત્રિકો કાયમી સંભારણા સાથે પોતાને વતન સરળતાથી પાછા ફરી રહ્યા છે. મંદિરની વિવિધ રોશનીથી ભવ્ય સજાવટ કરવામાં આવી છે. માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન મનાતા ગબ્બર મુકામે નિર્માણ કરવામાં આવેલ ૫૧ શક્તિપીઠોના દર્શન કરી માઇભક્તો ધન્ય બની રહ્યા છે. આવતીકાલ તા.૧૦ સપ્ટેઆમ્બર પૂનમનો દિવસ ભાદરવા મેળાનો છેલ્લો દિવસ છે. આજે નિયમિત પૂનમ ભરતા શ્રધ્ધાળુઓ પણ ઉમટશે.

રોશની અને લાઇટીંગથી અંબાજી મંદિરની સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા*
અંબાજી મંદિર પરિસર અને સમગ્ર અંબાજીમાં જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રોશની અને લાઇટીંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવતા અંબાજી તીર્થ સ્થાનની ભવ્યતા અને સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા છે. રોશનીને લીધે અંબાજી મંદિરની ભવ્યતા નિહાળી માઇભક્તોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી છે.
